વતન જતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજન-પાણીની કરાઇ વ્યવસ્થા

અમદાવાદઃ કોરોના વાઇરસના પગલે દેશવ્યાપી લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકો રાજ્યમાં અટવાયા હતા. આ શ્રમિકોને તેમના વતન પરત મોકલાવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

અમદાવાદમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને રાજ્ય સરકાર દ્વારા રેલવે મારફતે તેઓના વતન મોકલવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ઉત્તરપ્રદેશના 1666 શ્રમિકોને રાજ્યના ગૃહમંત્રી  અને વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અને સહયોગ હેઠળ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શ્રમિકોને તેમના વતન લઇ જતી ટ્રેનને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી રવાના કરી હતી. તો વતન જતા પહેલા આ તમામ શ્રમિકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને સંપૂર્ણ રીતે સામાજિક અંતર જળવાય તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પોતાના વતન તરફ જવાના રવાના થતા આ શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં સોનલ ગુપ્તા અને તેમની ટીમના સભ્યો દ્વારા દરેક શ્રમિકોને ભોજન માટે પુલાવની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી હતી. તે ઉપરાંત રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની બોટલની પણ સેવા આપવામાં આવી હતી.